Rajkot: છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં બઘડાટી બોલાવી રહ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે.
આ અંગે PGVCL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 542 જેટલા વીજ ફીડરો બંધ થઈ ગયા છે. જેના પરિણામે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
વીજ પૂરવઠા પર થયેલી અસરની વિગતો જોઈએ તો, ખાસ કરીને ખેતીવાડીના ફીડરોને મોટું નુકસાન થયું છે. જેની સૌથી વધુ અસર પોરબંદર જિલ્લામાં જોવા મળી છે. જ્યાં ખેતીવાડીના 131 ફીડરો બંધ છે. આ સિવાય જામનગરના 100 અને જૂનાગઢના 57 ખેતીવાડી ફીડરો બંધ હાલતમાં છે.
ભારે વરસાદના કારણે પોરબંદરના 29 અને જૂનાગઢના 24 જેટલા ગામોને વીજળી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં વીજળીના થાંભલા અને ટ્રાન્સફોર્મરોને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે વીજ પૂરવઠો પુર્વવત કરવામાં સમય લાગી શકે છે.