Porbandar News: ગુજરાત રાજ્યના ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટ્રકને સુરક્ષિત રીતે નીચે ઉતારવાના અદ્ભુત પરાક્રમ બદલ વિશ્વકર્મા મરીન લિમિટેડના ડાયરેક્ટર કેતનભાઈ ગજ્જરનું સ્વતંત્રતા દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટના પાવન પર્વે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
કેતનભાઈ ગજ્જરે આ અશક્ય લાગતા મિશનને માત્ર 20 મિનિટમાં પાર પાડીને તેમની અનોખી તકનીકી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ સફળતા બાદ તેમણે દેશભક્તિ અને સમર્પણની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, "સમગ્ર ભારતમાં આવી કોઈ પણ ઈમરજન્સી ઊભી થશે તો અમે પહોંચીશું." આ શબ્દોએ તેમની સેવાભાવના અને દેશ પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો, જેના પરિણામે આજે આ પરાક્રમ માટે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
આ ટેન્કરને સલામત બહાર કાઢવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપની અને મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ કામગીરી હાથ ધરી રહી હતી. નિષ્ણાંત એન્જિનિયરો સાથેની મરીન ઇમર્જન્સી ટીમે અદ્યતન સાધનોનો ઉપયોગ શરૂ કર્યો હતો. ટેન્કર નજીક પ્રથમ હવાના બલૂનને સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે વધુ એક બલૂન ટ્રકની નીચે ફિટ કરવામાં આવ્યું હતું. આગામી તબક્કામાં આ બલૂનમાં ગેસ ભરી ટેન્કરને ધીમે ધીમે ઊંચું કરવામાં આવ્યું હતું. કામગીરીમાં ટેન્કરને બહાર કાઢી લેવામાં સફળતા હતી.
