Panchmahal: પંચમહાલ જિલ્લામાં એક બાદ એક દુર્ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં ગણેશ વિસર્જનની સાંજે પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વે તૂટી પડતાં છ કામદારોનાં મોત નિપજ્યાં હતાં. જે બાદ આજે ફરી એક ગંભીર બનાવ રણજીતનગર ગામે સામે આવ્યો છે. જેમાં ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરલ કેમિકલ લી. (GFL) કંપનીના VFC પ્લાન્ટમાં બપોરના સમયે અચાનક રીએક્ટર ફાટતાં ભારે અવાજ સાથે ગેસ લીકેજ થયો હતો. આ ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં હાહાકાર મચી જતાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ ગેસની અસરથી 20થી વધુ કામદારો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ગોધરા, હાલોલ તથા વડોદરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો સુધી ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો
બીજી તરફ કંપનીના પરિસરમાં આવેલા મંદિરમાં હાલોલના નિવાસી પૂજારી હરેશ વ્યાસ શ્રાદ્ ધવિધિ કરી રહ્યા હતા. પ્લાન્ટ નજીક હોવાથી ગેસની સીધી અસર તેમના પર પડી હતી. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આકસ્મિક ગેસ લીકેજની જાણ થતા ગામમાં એમ્બ્યુલન્સના સાયરન ગૂંજી ઉઠ્યાં હતાં અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી રસ્તાઓ બંધ કરી દીધા હતા. નજીકની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હજી સુધી ગેસ લીકેજથી અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવે પંચમહાલ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.