Navsari: નવસારીની વિરાવળ ખાતે આવેલ સરકારી શાળામાં યુવકને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં આવેલી સરકારી ગાંધી વિદ્યાલયમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. મૃતક યુવકની ઓળખ હળપતિ વાસમાં રહેતા પ્રતિક કિશોરભાઈ હળપતિ તરીકે થઇ છે. પ્રતિકે શાળાના ટેરેસ કેબિનના એંગલ સાથે ફાંસો ખાઈ લીધો હતો. સવારે શાળામાં આવતા વિદ્યાર્થીઓએ મૃતદેહ લટકતો જોયો હતો, જે બાદ તરત જ શિક્ષકોને જાણ કરી હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ ઘટના પછી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળામાં રજા આપવામાં આવી હતી. યુવકે આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.