Junagadh: લેહમાં બરફના તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ, કાલે વતનમાં ગાર્ડ ઑફ ઑનર આપી અંતિમયાત્રા નીકળશે

રાકેશ ડાભી ભારતીય સેનાના મહાર યુનિટમાં લેહ ખાતે ફરજ બજાવતા હતા, ત્યારે બરફનું તોફાન આવ્યું હતુ. સ્નો સ્લાઈડિંગ થતાં રાકેશ સહિત અન્ય બે જવાનો બરફ નીચે દટાઈ ગયા હતા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 10 Sep 2025 04:55 PM (IST)Updated: Wed 10 Sep 2025 04:55 PM (IST)
junagadh-news-chorwad-army-jawan-rakesh-dabhi-martyr-in-snow-sliding-at-leh-600819
HIGHLIGHTS
  • આજે મોડી રાત સુધીમાં શહીદ જવાનનો દેહ વતન પહોંચશે
  • બે વર્ષ પહેલા જ રાકેશ ડાભી અગ્નિવીર તરીકે સેનામાં જોડાયો હતો

Junagadh: લેહમાં આવેલા બરફના તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદ જવાનનો પાર્થિવ દેહ આજે રાત્રિ સુધીમાં તેના વતન ચોરવાડ પહોંચશે. જે બાદ આવતીકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમયાત્રા યોજાશે.

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોરવાડના રાકેશભાઈ દેવભાઈ ડાભી બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનાના મહાર યુનિટમાં જોડાયા હતા. તેઓ હાલ લેહમાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે બરફનું તોફાન આવ્યું અને સ્નો સ્લાઇડિંગ થવાને કારણે તેઓ અને અન્ય બે જવાન શહીદ થયા હતા.

રાકેશભાઈ ડાભીના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના પરિવાર અને સમગ્ર ચોરવાડ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આવતીકાલે સવારે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનને અંતિમ વિદાય આપવામાં આવશે.